Tuesday, August 2, 2011

દીનદયાળ ચૂર્ણ


લઘુમતિ આહારવિહારને કારણે
બિનસાંપ્રદાયિકતાની કબજિયાત થાય, તો
અમારી કંપનીનું
દીનદયાળ ચૂર્ણ ખાવ.
હિન્દુત્વનો સરસ મજાનો રેચ થશે.
સર્વ રોગહર,સર્વ દુ:ખહર
પરમહિતકારી આ ચૂર્ણ
વેદ પ્રમાણિત છે,
શ્રુતિ,સ્મૃતિ,ઉપનિષદ આધારિત છે.
અમારી કંપનીએ
આ યોગ
સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી
હજાર મણ માનવરક્તનો પુટ આપીને
તૈયાર કર્યો છે.
આમ તો
આ અનુભૂત યોગ
વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં
નરણે કોઠે વિશેષ ફળદાયી છે.
પરંતુ તેને ઓછી માત્રામાં લેવાથી
જાતિભેદના જીવાણુ અને
વર્ગીય અસમાનતાના વિષાણુ
મરતા નથી
એટલે એનો પુષ્કળ માત્રામાં પ્રયોગ કરવો.
તેના સેવન સમયે
રક્તપાત, બોમ્બ ધડાકા, શિયળભંગ
જેવા ક્ષણિક ઉત્પાતો થશે.
પરંતુ અંતે સિસ્ટમ નિરામય થશે.
ગરીબી, બેકારી, ભૂખમરો જેવાં
વ્યાધિ ભૂલાઈ જશે.
મારી વાત સાંભળીને તમે હસો છો?

આ કોઈ પક્ષનો ચૂંટણી ઢંઢેરો નથી.
અમારી સદીઓ જૂની
અને હવે તો વૈશ્વિક બનેલી
કંપનીના આક્રમક માર્કેટીંગની
  ફળશ્રુતિ છે.
અમારી કંપની ભલે નાસ્ડાકમાં લિસ્ટેડ નથી.
ભારતીય શેર બજારની રૂખ
અમારા હાથમાં છે.

3 comments: